સંપર્ક : Contact

Name :- Solanki Nayana J. Mobile:- 6359505666/9537667111 Email:-nayana.J.tirna89@gmail.com

04 જુલાઈ 2023

નિબંધલેખન : 1. પ્રિય પુસ્તક

 

નિબંધલેખન : પ્રિય પુસ્તક


·        મુદાઓઃ પ્રસ્તાવના પ્રિય પુસ્તક ગીતાનો પરિચય, પૂર્વકથા -પુસ્તકમાં રહેલો બોધ પુસ્તકની વિશેષતા- ઉપસંહાર

       સારાં પુસ્તકોનું વાંચન આપણા જીવનને ઉન્નત બનાવે છે. સારા પુસ્તકો મિત્ર, ગુરુ અને ભોમિયાની ગરજ સારે છે. આથી હું હંમેશાં સારાં પુસ્તકો મારી પાસે રાખું છું. મેં મારી રુચિ પ્રમાણે કેટલાંક પુસ્તકોનું વાંચન અને મનન કર્યું છે. એ બધાં પુસ્તકોમાં શ્રીમદ્ ભગવદ્ગીતાનું પુસ્તક મને ખૂબ જ પ્રિય છે.

       બાઇબલ ખ્રિસ્તી ધર્મનું પુસ્તક છે; કુરાન મુસલમાનોનું ધાર્મિક પુસ્તક છે; તેમ શ્રીમદ્ ભગવદ્ગીતા, રામાયણ અને મહાભારત હિંદુઓનાં ધાર્મિક પુસ્તકો છે. રામાયણમાં રામની કથા આવે છે. તેમાં રામરાજ્યની વાત રજૂ કરવામાં આવી છે. મહાભારતમાં પાંડવો અને કૌરવોના મહાયુદ્ધની કથા છે. આ બંને પુસ્તકો આપણા માર્ગદર્શક બની શકે તેમ છે.

       પરંતુ નાની હોવા છતાં અત્યંત પ્રેરણાદાયક એવી શ્રીમદ્ ભગવદ્ગીતા મારું અત્યંત પ્રિય પુસ્તક છે. તેમાં વિષ્ણુનો અવતાર ગણાતા ભગવાન શ્રીકૃષ્ણ અઢાર અધ્યાયમાં અર્જુનને જીવન, મૃત્યુ અને જગત વિશે તાત્ત્વિક બોધ આપ્યો છે. ભગવાન શ્રીકૃષ્ણના મુખે ગવાયેલા શ્લોકો અને તેમાં રજૂ થયેલા સરળ જીવનબોધને લીધે તે મારું પ્રિય પુસ્તક બની ગયું છે.

       પાંડવો અને કૌરવો વચ્ચે રાજ્યની વહેંચણી અંગે ખટરાગ ઊભો થયો હતો. બાર વર્ષના વનવાસ અને એક વર્ષના અજ્ઞાતવાસ પછી પણ દુર્યોધને પાંડવોને તેમનું રાજ્ય પાછું આપવાની સાફ ના પાડી દીધી. પાંડવો તરફથી કરવામાં આવેલા સંધિના તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા. સંધિનો સંદેશ લઈને હસ્તિનાપુરમાં ગયેલા શ્રીકૃષ્ણનું પણ દુર્યોધને અપમાન કર્યું. છેવટે પાંડવોને હવે તો યુદ્ધ એ જ કલ્યાણનો માર્ગ અપનાવવો પડ્યો.

       પાંડવો અને કૌરવોની સેના કુરુક્ષેત્રના મેદાન પર સામસામે ગોઠવાઈ ગઈ. ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનના રથના સારથિ બન્યા. યુદ્ધના મેદાન પર પાંડવોની સામે ભીષ્મ પિતામહ, ગુરુ દ્રોણ, વડીલો, કાકા, મામા, મિત્રો, સસરા વગેરેને લડવા માટે ઊભેલા જોઈને અર્જુન હતાશ થઈ જાય છે. એ યુદ્ધ કરવાની ના પાડે છે, શસ્ત્રો હેઠાં મૂકી દે છે. તે કહે છે કે સ્વજનોને મારીને મને સ્વર્ગનું રાજ્ય મળવાનું હોય તો તે પણ મારે જોઈતું નથી.

       અર્જુનને સગાં-સંબંધીઓથી મોહ ઉત્પન્ન થયેલો જોઈને ભગવાન શ્રીકૃષ્ણ તેને બોધ આપે છે. આ બોધનું પુસ્તક એટલે શ્રીમદ ભગવદ્ગીતા. તેમાં તે અર્જુનને નિમિત્ત માત્ર હોવાનું કહે છે. તે અર્જુનને જ્ઞાનયોગ, ભક્તિયોગ અને કર્મયોગનો સુંદર બોધ આપે છે.

       બીજા અધ્યાયમાં સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો દર્શાવવામાં આવ્યાં છે. શ્રીકૃષ્ણ ફળની અપેક્ષા રાખ્યા વિના નિષ્કામ કર્મ કરવાનું જણાવે છે. વળી, તે રાગ અને દ્વેષથી પર રહેવાનું પણ કહે છે. એને અનાસક્તભાવે લડવાનું કહે છે. ગીતાનાં ટૂંક ટૂંકાં સરળ વાક્યો આપણને સુંદર જીવનબોધ આપી જાય છે. જેમ કે યોગ: કર્મસુ કૌશત સ્વધર્ષે નિધનં શ્રેયઃ પર મચાવડા વગેરે.

       શ્રીમદ્ ભગવદ્ગીતાના શ્લોકો સરળ રીતે યાદ રાખીને તેનું પઠન થઈ શકે છે અને ગાઈ પણ શકાય છે. આ શ્લોકોનો ગુજરાતી અનુવાદ વાંચતાં ગીતાનું તત્ત્વજ્ઞાન સારી રીતે સમજી શકાય છે. દુનિયાના શ્રેષ્ઠ ગ્રંથોમાં તેને સ્થાન મળ્યું છે. દુનિયાની બધી જ ભાષાઓમાં તેનો અનુવાદ થયો છે.

       અમારા ઘરમાં મારા દાદાજી અને મારા પિતાજી દરરોજ ગીતાના એક અધ્યાયનો પાઠ કરે છે. હું પણ છેલ્લાં બે વર્ષથી રોજ ગીતાના એક અધ્યાયનો પાઠ કરું છું. મને ગીતાના કેટલાક શ્લોકો મોઢે થઈ ગયા છે. ગીતાની મહત્તા સમજાવતાં એક સંસ્કૃત કવિએ કહ્યું છે કે, નીતા સુનીતા શર્તવ્યા નિમઃ શાસ્ત્રવિતંડા અર્થાત્ ગીતાને જ સારી રીતે ગાવી જોઈએ, બીજા અનેક શાસ્ત્રોનો અભ્યાસ કરવાની કોઈ જરૂર નથી.

 

ટિપ્પણીઓ નથી:

સહયોગ આપનારાઓ